Tuesday, December 30, 2025

કોંગ્રેસનું 'સંઘ-સંકટ': વિચારધારાની લડાઈ

 તંત્રીલેખ


 કોંગ્રેસનું 'સંઘ-સંકટ': વિચારધારાની લડાઈ


++++++++++++

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરીને કોંગ્રેસમાં જે બબાલ ઊભી કરી છે, તે માત્ર એક રાજકીય નિવેદન પૂરત સીમિત નથી. આ ઘટના કોંગ્રેસ પક્ષની આંતરિક વિચારધારા, તેની વર્તમાન રાજકીય દિશા અને ભૂતકાળના નેતાઓ દ્વારા સંઘ પ્રત્યેના વલણ વચ્ચેના ગહન વિરોધાભાસને ઉજાગર કરે છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક પહેલાં જ દિગ્વિજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુવાવસ્થાની એક તસવીર શેર કરીને, RSS-BJPની સંગઠનાત્મક તાકાતને બિરદાવી અને કોંગ્રેસને તેમાંથી શીખ લેવાની સલાહ આપી, ત્યારે તેમના જીવનભરના સંઘ-વિરોધી વલણને કારણે આ વિવાદ વધુ વકર્યો. સોશિયલ મીડિયા પર અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાઓના નિશાને તેઓ આવી ગયા. આનું મુખ્ય કારણ એ છે કે આજના સંજોગોમાં કોંગ્રેસ સંઘને માત્ર રાજકીય હરીફ નહીં, પણ નફરત ફેલાવનાર અને વિભાજનકારી વિચારધારાવાળી સંસ્થા તરીકે જુએ છે.

જોકે, દિગ્વિજય સિંહનો વિવાદ કેવળ તેમની RSS પ્રશંસા પૂરતો નથી. આ પોસ્ટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેને ટૅગ કરીને, તેમણે પક્ષમાં સંગઠનાત્મક સુધારા અને વિકેન્દ્રીકરણની પોતાની માંગને ફરીથી ઉજાગર કરી છે. ઘણા નેતાઓ તેને વર્તમાન કેન્દ્રીય નેતૃત્વ પરના પરોક્ષ હુમલા તરીકે જુએ છે. વળી, દિગ્વિજય સિંહના ભૂતકાળના નિવેદનો, જેમાં તેમણે RSS પર નફરત ફેલાવવા, ફેક ન્યૂઝ અને આતંકવાદી ષડયંત્રો સુધીના આક્ષેપો કર્યા છે, તેને જોતાં તેમની અચાનક આવેલી પ્રશંસા પર પક્ષમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે.

પરંતુ, આ સમગ્ર વિવાદનો બીજો અને વધુ મહત્ત્વપૂર્ણ પક્ષ કોંગ્રેસના ઇતિહાસમાં દટાયેલો છે. દિગ્વિજય સિંહ RSSની પ્રશંસા કરનારા પહેલા નેતા નથી. એક સમયે કોંગ્રેસના સ્થાપક નેતાઓથી લઈને આધુનિક યુગના મહાનુભાવોએ પણ વિવિધ પ્રસંગોએ સંઘની સંગઠન શક્તિ, અનુશાસન અને દેશભક્તિને સ્વીકારી છે.

 મહાત્મા ગાંધીએ (1934 અને 1947): RSSના કેમ્પની મુલાકાત લીધી અને તેમની અનુશાસન, સાદગી અને અસ્પૃશ્યતાની ગેરહાજરીથી પ્રભાવિત થયા હતા.

જવાહરલાલ નેહરુએ (1962 અને 1963): ભારત-ચીન યુદ્ધ દરમિયાન રાહત કાર્ય માટે સંઘના સ્વયંસેવકોના યોગદાનને સ્વીકારી, તેમને 1963ની ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

  સરદાર વલ્લભભાઈ પટેલે (1949): ગાંધી હત્યા બાદ પ્રતિબંધ દૂર કર્યા પછી ગોલવલકરને લખ્યું હતું કે સંઘના સભ્યો દેશભક્ત છે.

 ડો. બી.આર. આંબેડકરે (1939): પૂણેમાં RSSના શિબિરની મુલાકાત લઈ સ્વયંસેવકોમાં જોવા મળતી સંપૂર્ણ સમાનતા અને ભાઈચારાની પ્રશંસા કરી હતી.

 ઇન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી: તેમણે પણ જુદા જુદા પ્રસંગોએ સંઘની દેશભક્તિ અને સહયોગની ભાવનાને માન્યતા આપી હતી.

 પ્રણવ મુખર્જી (2018): પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે RSS મુખ્યાલયની મુલાકાત લીધી અને સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને 'માતૃભૂમિના મહાન પુત્ર' કહ્યા હતા.

આ ઐતિહાસિક તથ્યો સ્પષ્ટ કરે છે કે RSS સાથે કોંગ્રેસના સંબંધો હંમેશા કટ્ટર વિરોધના નહોતા. નેતાઓએ તેમની રાજકીય વિચારધારા અલગ હોવા છતાં, સંઘની સંગઠનાત્મક ક્ષમતા અને રાષ્ટ્રીયતાની ભાવનાને સ્વીકારી હતી.

આજે, કોંગ્રેસ એક કઠોર વિચારધારાની કેદમાં બંધાયેલી જોવા મળે છે, જ્યાં RSSની સંગઠનાત્મક શક્તિની પ્રશંસા કરવી પણ 'ગુનો' ગણાય છે. જ્યારે દિગ્વિજય સિંહની ટિપ્પણીનો હેતુ કદાચ આંતરિક સુધારા માટે દબાણ લાવવાનો હોય, ત્યારે પક્ષની વર્તમાન પ્રતિક્રિયા દર્શાવે છે કે તે વિરોધ પક્ષની સકારાત્મક શક્તિને સ્વીકારવા તૈયાર નથી. રાજકીય વિરોધ જરૂરી છે, પરંતુ વિરોધીના ગુણમાંથી શીખવાની ક્ષમતા રાજનીતિમાં પ્રગતિ માટે અનિવાર્ય છે. જો કોંગ્રેસ RSSની વિચારધારાનો વિરોધ કરવા માંગતી હોય, તો તેણે તેની સંગઠનાત્મક શક્તિને નકારવાને બદલે, તેમાંથી પ્રેરણા લઈ પોતાની સંગઠનાત્મક નબળાઈઓને દૂર કરવી જોઈએ.

કોંગ્રેસ માટે આ 'સંઘ-સંકટ' માત્ર દિગ્વિજય સિંહનો મુદ્દો નથી, પણ પક્ષે પોતાના ભૂતકાળના નેતાઓની દૂરંદેશી અને વર્તમાન કઠોરતા વચ્ચે સંતુલન સાધી, પોતાના રાજકીય અસ્તિત્વ માટે એક નવી અને મધ્યમ માર્ગીય વિચારધારા શોધવાનો પડકાર

 છે.

સુરેશ ભટ્ટ 


Tuesday, December 9, 2025

આધાર કાર્ડ એટલે તમારી ડિજિટલ ઓળખ

ચોપાસ 

તા.૯-૧૨-૨૫


આધાર કાર્ડ એટલે તમારી ડિજિટલ ઓળખ


++++++++++


આધાર કાર્ડ ની  સુરક્ષાના નવા નિયમો આવી રહ્યા છે.

++++++++

આધાર કાર્ડ: ભારતની ઓળખની ગોલ્ડન કી છે.તેની સુરક્ષા માટેના નવા નિયમો આવી રહ્યા છે.

=============


ભારતમાં લાખો લોકો માટે ઓળખનું મુખ્ય સાધન એટલે આધાર કાર્ડ. આ કાર્ડ ૧૨ અંકના અનોખા  નંબર છે, જે ભારત સરકારની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ  છે. ૨૦૦૯માં શરૂ થયેલી આ સ્કીમનો હેતુ દરેક ભારતીયને એક સરળ અને વિશ્વસનીય ઓળખ આપવાનો છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને બાયોમેટ્રિક માહિતી જેવી કે આંગળીની નિશાન, આંખની આઇરિસ અને ફોટો સામેલ હોય છે. આનાથી તમારી ઓળખને વધુ મજબૂત બનાવવામાં આવે છે.


આધાર કાર્ડ મેળવવું ખૂબ જ સરળ છે. તમારે માત્ર આધાર કેન્દ્ર પર જઈને ફોર્મ ભરવું પડે છે. દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર કે વોટર આઇડી પુરા પાડવા પડે છે. બાયોમેટ્રિક ડેટા લેવામાં આવે છે અને ૯૦ દિવસમાં કાર્ડ તમારા સરનામે મોકલાઈ જાય છે. બાળકો માટે પણ આધાર બનાવી શકાય છે, જેમાં બાયોમેટ્રિક વિના પણ શરૂઆત થઈ શકે છે. હાલમાં ૧૩૦ કરોડથી વધુ આધાર કાર્ડ જારી થયા છે, જે વિશ્વની સૌથી મોટી  બાયોમેટ્રિક આઇડી સિસ્ટમ છે.


આધાર કાર્ડના ઘણા ઉપયોગો છે. બેંક ખાતું ખોલવું, સબસિડી મેળવવી, ટેક્સ ફાઇલ કરવો, મોબાઇલ SIM કરવો કે પેન્શન મેળવવા માટે તે જરૂરી છે. આધાર-લિંક્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)થી ગ્રામીણ વિસ્તારોમાં પૈસા ટ્રાન્સફર કરવું સરળ બને છે. જનધન યોજના જેવી સરકારી સ્કીમો આધારથી જોડાયેલી છે, જેથી ભ્રષ્ટાચાર ઘટે છે અને સુવિધા સીધી લોકો સુધી પહોંચે છે. કોવિડ-19 વેક્સિનેશન જેવા કાર્યોમાં પણ આધારની ભૂમિકા મહત્વની રહી.


જોકે, આધારની ગોપનીયતા વિશે ચિંતાઓ પણ છે. UIDAI કહે છે કે ડેટા સુરક્ષિત છે અને માત્ર તમારી સંમતિથી ઉપયોગ થાય છે. સુપ્રીમ કોર્ટે પણ તેને માન્યતા આપી છે, પરંતુ વપરાશમાં સાવચેતી રાખવી જરૂરી છે. ભવિષ્યમાં આધાર ડિજિટલ ઇન્ડિયાનું મુખ્ય આધાર બનશે, જે દેશને વધુ સુસંગત અને વિકસિત બનાવશે.



ભારતમાં, આધાર કાર્ડ હવે માત્ર એક ઓળખપત્ર નહીં, પણ ડિજિટલ યુગમાં નાગરિક હક્કો અને સુરક્ષાનો મુખ્ય આધાર બની ગયું છે. બેંકિંગથી લઈને મોબાઈલ કનેક્શન સુધી, સરકારી લાભથી લઈને કાયદાકીય કામગીરી સુધી, આધાર આપણા રોજબરોજના જીવનનું અભિન્ન અંગ છે. પરંતુ, આટલા વ્યાપક ઉપયોગ સાથે, ડેટાની ગોપનીયતા અને નાગરિકોની નિજીતાનું રક્ષણ પણ એક મહત્વપૂર્ણ પડકાર રહ્યો છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર હવે આધારની સુરક્ષા માટે નવા અને કડક નિયમો લાગુ કરી રહી છે.


શા માટે જરૂરી છે નવા નિયમો?


અત્યાર સુધી, ઘણી સંસ્થાઓ – હોટેલ, ઇવેન્ટ સ્થળો, દુકાનો – આધાર કાર્ડની ભૌતિક (ફોટોકોપી) નકલ માંગતી હતી અને તેને કાગળ અથવા ઈલેક્ટ્રોનિક ફાઈલમાં સંગ્રહિત કરતી હતી. આ પદ્ધતિમાં આધાર નંબર અને વ્યક્તિગત માહિતીના દુરુપયોગ અથવા ચોરીનો ખતરો હતો. આથી, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) એ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: કોઈ પણ સંસ્થા વ્યક્તિની સ્પષ્ટ મંજૂરી વિના અથવા કાયદા મુજબની ખાસ જરૂરિયાત વિના, આધાર કાર્ડની ભૌતિક નકલ રાખી શકશે નહીં.


શું છે નવી વ્યવસ્થા?


1. ફોટોકોપી પર પ્રતિબંધ: હોટેલ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, રિટેલ સ્ટોર્સ જેવા સાર્વજનિક અને ખાનગી સ્થળોએ આધાર કાર્ડની ફોટોકોપી કે ફિઝિકલ કોપી માંગવી અથવા સંગ્રહિત કરવી પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. તેના બદલે, 'ઓફલાઈન વેરિફિકેશન'નો ઉપયોગ કરવો પડશે.

2. ઓફલાઈન વેરિફિકેશન: આ એક સુરક્ષિત પદ્ધતિ છે, જેમાં તમે તમારા મોબાઈલ થકી યુઆઈડીએઆઈની વેબસાઈટથી એક પાસવર્ડ-સુરક્ષિત ઈ-કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ ઈ-કાર્ડમાં તમારું નામ, ફોટો અને ક્યૂઆર કોડ હોય છે, પરંતુ આધાર નંબર છુપાયેલો હોય છે. સંસ્થાઓ આ ક્યૂઆર કોડ સ્કેન કરીને તમારી ઓળખ ચકાસી શકે છે, પરંતુ તમારો આધાર નંબર જોઈ શકશે નહીં.

3. એજન્સીઓ માટે મંજૂરી: જે કોઈ સંસ્થા આ ઓફલાઈન વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવા માંગે છે, તેને યુઆઈડીએઆઈ પાસેથી અગાઉથી મંજૂરી મેળવવી જરૂરી રહેશે. આથી ડેટાનો દુરુપયોગ થતો અટકાવી શકાશે અને સંસ્થાઓની જવાબદારી સ્પષ્ટ થશે.


નવી એપથી ચેકિંગ થશે વધુ સરળ


આ નવા નિયમોને વધુ અસરકારક બનાવવા માટે, યુઆઈડીએઆઈ ટૂંક સમયમાં એક નવી એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપની ખાસ વિશેષતા એ હશે કે તે ઈન્ટરનેટ કનેક્શન વિના પણ કામ કરશે. એટલે કે, એરપોર્ટ, મોલ, વિવાહ સમારંભ જેવા સ્થળોએ, જ્યાં નેટવર્કની સમસ્યા હોય, ત્યાં પણ આધાર ચકાસણી સરળતાથી થઈ શકશે. આ એપ 'એપ-ટુ-એપ વેરિફિકેશન' માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે વપરાશકર્તા અને સેવા પ્રદાતા બંને માટે સુરક્ષિત અને સરળ હશે. આ એપનું બીટા વર્ઝન હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે.


નાગરિકોની શું છે જવાબદારી?


સરકારી પગલાંઓ સાથે, નાગરિકોની સાવચેતી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડની ફોટોકોપી કોઈને પણ આપતા પહેલા બે વાર વિચારવું. જ્યાં શક્ય હોય ત્યાં 'માસ્કડ આધાર' અથવા ઓફલાઈન ક્યૂઆર કોડનો ઉપયોગ કરવો. કોઈ પણ સંદેશો અથવા ફોન કોલ પર આધારની માહિતી શેર ન કરવી. આ નાની પણ સતર્કતાથી આપણી ઓળખ સુરક્ષિત રહી શકે છે.


 સુરક્ષા અને સગવડનો સમતોલ


આધાર હવે ભારતના ડિજિટલ ભવિષ્યનો આધારસ્તંભ છે. નવા નિયમો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સરકાર એ જ સંદેશ આપે છે કે ડિજિટલ સગવડ અને નાગરિકોની નિજીતાની સુરક્ષા બંને સાથે-સાથે ચાલી શકે છે. આ પ્રયાસો દ્વારા, આધાર માત્ર એક કાર્ડ ન રહીને, એક વિશ્વસનીય, સુરક્ષિત અને ભવિષ્યની ઓળખ-પ્રણાલી તરીકે ઉભરી રહ્યો છે. નાગરિક તરીકે, આ નવીનતાઓને સમજવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો, એ જ આપણી ડિજિટલ ઓળખને મજબૂત બનાવવાની ચાવી છે.

સુરેશ ભટ્ટ 

રાષ્ટ્રની લોકશાહીને ખતમ કરવાનું ભયાનક ષડયંત્ર

તા.૬-૧૨-૨૫


પ્રાસંગિક

રાષ્ટ્રની લોકશાહીને ખતમ કરવાનું ભયાનક ષડયંત્ર 

+++++++++


'ભૂતિયા મતદાતા'નો ભયાવહ ખેલ પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી ચાલી રહ્યો છે જેને ચૂંટણી પંચે પકડી પાડતા સનસનાટી મચી ગઈ છે.


+++++++


ભારતની લોકશાહી તેના પાયામાં સમાયેલી પવિત્રતા અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ટકેલી છે. પરંતુ, પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં સામે આવેલો 'ઘોસ્ટ વોટર્સ' અથવા 'ભૂતિયા મતદાતા'નો પ્રકરણ એ આપણા સમગ્ર તંત્ર માટે એક સળગતો સવાલ છે. આ ઘટના માત્ર મતદાર યાદીમાં ગેરરીતિ પૂરતી સીમિત નથી, પરંતુ તે ચૂંટણી પ્રક્રિયાના મૂળભૂત વિશ્વાસને હચમચાવી દેનારી છે. 'ભૂતિયા મતદાતા' એટલે એવા વ્યક્તિઓ, જેઓ શારીરિક રીતે હયાત નથી, તેમ છતાં તેમના નામ મતદાર યાદીમાં જીવંત રહે છે અને આ નામો પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ગુપ્ત રીતે મત નાખવામાં આવે છે. આ એક એવું ષડયંત્ર છે, જે લોકશાહીના પવિત્ર મંચ પર છૂપી રીતે ખેલવામાં આવે છે, જ્યાં મૃત વ્યક્તિનો મત પણ સત્તાના સમીકરણો બદલવાની ક્ષમતા ધરાવે છે.

આ સમગ્ર પ્રકરણની શરૂઆત 'સિસ્ટમેટિક ઈલેક્ટોરલ રોલ રિફાઇનમેન્ટ' (SIR) પ્રક્રિયા દરમિયાન થયેલા એક ચોંકાવનારા ખુલાસાથી થઈ હતી. એવા દાવા કરવામાં આવ્યા કે રાજ્યના ૨,૨૦૮ જેટલા સંવેદનશીલ મતદાન મથકો (બૂથો) પર છેલ્લા વીસ વર્ષના લાંબા ગાળામાં એક પણ મતદાતાનું મૃત્યુ થયું નથી. આ આંકડો સાંભળીને કોઈપણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય. તાર્કિક રીતે, વીસ વર્ષમાં હજારો મતદારો ધરાવતા ૨,૨૦૮ બૂથ પર શૂન્ય મૃત્યુદરનો દાવો કરવો એ માત્ર હાસ્યાસ્પદ જ નહીં, પણ એક સુનિયોજિત ફરજીવાડા તરફ સ્પષ્ટ ઈશારો કરનારો હતો. મૃત્યુ એ એક કુદરતી અને અનિવાર્ય પ્રક્રિયા છે. આંકડાકીય રીતે અસંભવ એવો આ દાવો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી મોટા કૌભાંડોમાંનો એક સાબિત થવાની તૈયારીમાં હતો.

૨,૨૦૮ બૂથનો કથાગ્રંથ: કેવી રીતે તૂટ્યો વીસ વર્ષ જૂઠાણાંનો પત્તાનો મહેલ તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.

આ ‘શૂન્ય મૃત્યુ’ના દાવા પાછળનું સત્ય એટલું જ ઘૃણાસ્પદ હતું, જેટલું તે ભ્રામક હતું. આ ભૂતિયા મતદાતાઓનો ખેલ એ રીતે રમાય છે કે સ્થાનિક સ્તરે મતદાર યાદીની જાળવણી કરનારા તંત્ર દ્વારા જાણી જોઈને મૃત્યુ પામેલા લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવતા નથી. આ મૃત નામોનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવે છે. દરેક ભૂતિયો મત, ચૂંટણીના પરિણામો પર પોતાનો ભાર મૂકે છે અને જીત-હારના અંતરને કૃત્રિમ રીતે વધારી કે ઘટાડી શકે છે. આ પ્રકારનો ફરજીવાડો લોકશાહીના પરિણામોને સીધી રીતે વિકૃત કરે છે.

પરંતુ, આ વીસ વર્ષ જૂના જૂઠાણાંનો પુલિંદો એક ક્ષણમાં તૂટી પડ્યો. SIR જેવી સુવ્યવસ્થિત અને ટેક્નોલોજી-આધારિત પ્રણાલીએ જ્યારે આંકડાઓની વાસ્તવિકતા સામે ધરી, ત્યારે જવાબદારીમાંથી છટકવું શક્ય નહોતું. જ્યારે ભારતના ચૂંટણી પંચે આ મુદ્દે વિગતવાર અને સચોટ અહેવાલ માત્ર ૨૪ કલાકની સમયમર્યાદામાં માગ્યો, ત્યારે સ્થાનિક તંત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે અધિકારીઓ અને કર્મચારીઓ વીસ વર્ષથી 'શૂન્ય મૃત્યુ'ના આંકડા પર મહોર લગાવી રહ્યા હતા, તેમને સત્યનો સામનો કરવો પડ્યો. તત્કાળમાં સુધારેલા આંકડાઓ સાથે જે રિપોર્ટ રજૂ થયો, તેણે અગાઉના તમામ દાવાઓને તુચ્છ સાબિત કરી દીધા. માત્ર ૨૪ કલાકના સમયગાળામાં આંકડાઓનું પલટાઈ જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે આ ભૂતિયા મતદાતાઓનો ખેલ માત્ર બેદરકારીનું પરિણામ નહોતો, પરંતુ એક મોટો અને વ્યવસ્થિત રીતે ચાલતો ફરજીવાડો હતો. આ ઘટના એવા તમામ 'SIR વિરોધી' લોકોને આરીસો બતાવે છે, જેઓ મતદાર યાદીના શુદ્ધિકરણના પ્રયાસો સામે સવાલો ઉઠાવે છે.

ચૂંટણી પંચની સખ્તાઈ ને કારણે આખું કૌભાંડ બહાર આવ્યું છે 

 મતદાર યાદીનું શુદ્ધિકરણ અને ભાવિની દિશામાં હવે મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવી રહી છે.

આ ગંભીર કૌભાંડ સામે ભારતના ચૂંટણી પંચની સક્રિયતા અને સખ્તાઈએ દર્શાવ્યું છે કે દેશની લોકશાહી સંસ્થા પોતાની પવિત્રતા જાળવવા માટે મક્કમ છે. ECI એટલે કે ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક ધોરણે રિપોર્ટની માંગણી અને પરિણામે આવેલા સત્યએ સાબિત કર્યું કે ટેક્નોલોજી અને ઈરાદાની સચ્ચાઈ વડે આવા ગુપ્ત ફરજીવાડાનો પર્દાફાશ કરવો શક્ય છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી માત્ર બંગાળ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર દેશની મતદાર યાદીઓનું સઘન અને નિયમિત શુદ્ધિકરણ (Purification) થાય તે અનિવાર્ય છે.

લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય સમાન હોય છે. એક પણ 'ભૂતિયો મત' જો ખોટી રીતે નાખવામાં આવે, તો તે લાખો હયાત મતદારોના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને જનમતને અવળી દિશામાં દોરે છે. SIR જેવી પ્રણાલીઓ, જે મૃત્યુ, સ્થળાંતર અને ડુપ્લિકેટ એન્ટ્રીઓને પકડવામાં મદદ કરે છે, તેને માત્ર એક વિકલ્પ નહીં પણ એક ફરજિયાત પ્રક્રિયા બનાવવી પડશે.

આ કૌભાંડમાંથી આપણે એ શીખ લેવાની છે કે મતદાર યાદીમાં રહેલી દરેક એન્ટ્રીની ખરાઈ સતત થતી રહેવી જોઈએ. ECIએ હવે માત્ર ભૂતિયા મતદાતાઓને દૂર કરવા પૂરતું સીમિત ન રહેતા, આ ફરજીવાડામાં સામેલ બેદરકાર અથવા જાણી જોઈને સહાય કરનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવો ભયાવહ ખેલ ખેલવાની હિંમત ન કરી શકે. લોકશાહીની તંદુરસ્તી જાળવવાની જવાબદારી માત્ર સરકાર કે પંચની નથી, પરંતુ જાગૃત નાગરિકો તરીકે આપણે સૌએ પણ મતદાર યાદીની પારદર્શિતા માટે સતત ધ્યાન રાખવું પડશે. SIR પ્રણાલી દ્વારા મળેલું આ પગલું, લોકશાહીને વધુ મજબૂત અને સ્વચ્છ બનાવવાની દિશામાં એક નિર્ણાયક કદમ છે.